એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા હતા. સવાર પાળીના બાળકો ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દિવસે બે દૃશ્ય એવા હતા કે જે આજીવન મને યાદ રહેશે.
પ્રથમ દૃશ્ય
શાળામાં બપોર
પાળીના શિક્ષકો 12.30 પહેલાં આવી ગયા હતા. તેમાં એક શિક્ષકે મારા પર અદ્દભૂત
પ્રભાવ પાડ્યો. પોતે દિવ્યાંગ છે. એવા શિક્ષક શૈક્ષણિક સંસ્થામાં જોઈને મનમાં
ખુશીનો પાર ન રહ્યો. આપણે બાળકોને કૉલેજમાં કે શાળામાં સમયસર આવવા માટે વારંવાર
સૂચના આપતા હોઈએ છે. પરંતુ જ્યારે શિક્ષકો સમયસર આવશે તો વિદ્યાર્થીઓ આપોઆપ
શાળામાં સમયસર આવશે. આપણી પાસે બધા અંગો બરાબર છે છતાં પણ ક્યારેક મનની આળસને
કારણે મોડા પહોંચતા હોય છે. પરંતુ આ દિવ્યાંગ શિક્ષકને જોઈને ખ્યાલ આવ્યો કે આ
શિક્ષકની હિમ્મતને સલામ છે. જે ઘણી તકલીફો વેઠીને પણ પોતાના પરમ ધર્મને
કર્તવ્યનિષ્ઠ થઈને બજાવે છે. ત્યારે આવા શિક્ષકો અન્ય શિક્ષકો કે બાળકો માટે
પ્રેરણાદાયી બની જાય છે. પ્રેરણા આપણને આપણી આજુબાજુથી પસાર થતા લોકોના વર્તન પરથી
પણ મળી શકે છે. માત્ર મહાન વ્યક્તિના જીવન વાંચવાથી આવે છે એવું બનતું નથી. પરંતુ
તમારી આસપાસ રહેનારા લોકોમાં તમે સારું શું છે તે શોધી શકો તો તમને અન્ય લોકોના
પુસ્તકો વાંચવાની જરૂર નથી. શિક્ષણનો ઉદ્દેશ્ય એ જ છે કે વ્યક્તિનિર્માણ. જે દેશના
ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું યોગદાન આપી શકે. પોતાના પરિવાર કે સમાજનો ઉદ્ધારક બને.
બીજું દૃશ્ય
શાળામાં સવાર
પાળીનો સમય પૂર્ણાહૂતિ તરફ જઈ રહ્યો હતો ત્યારે છેલ્લી 5 મિનિટમાં વિદ્યાર્થિનીઓ
રાષ્ટ્રગીત ગાવા માટે સ્ટાફ રૂમમાં માઈક હતો ત્યાં આવી હતી. રાષ્ટ્રગીત ગાવાનું
શરૂ કર્યું. સ્ટાફરૂમમાં ઉપસ્થિત સૌ કોઈ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપ્રેમના સન્માનમાં ઊભા
રહ્યા. મારી સામે જ એક બારી હતી તેની બહાર જોયું તો શાળાના પટાંગણમાં એક વાલી
પોતાના બાળક સાથે ઊભા હતા. સાવધાનની સ્થિતિમાં ઊભા હતા. ત્રણથી ચાર વર્ષ ખાનગી
શાળામાં નોકરી કરી પણ આવું દૃશ્ય જૂજ વખત જ જોવા મળતું હતું. આ વાલીને તે જ સમયે
સન્માન કરવાનો વિચાર આવ્યો. પરંતુ એ બની શક્યું નહીં. તે દિવસે વિચાર આવ્યો કે
બીજીવાર આવું દૃશ્ય જોવા મળશે તો તરત જ એવા વાલીઓને મળીશ. શાબ્દિક સન્માન કરીશ.
શાળામાં આવા વાલીઓને શાળાના એમ્બેસેડર બનાવવા જોઈએ. જેથી રાષ્ટ્રના કામમાં આવા
લોકોને જોડી શકાય. જે શાળાની ભૂમિકા સારી રીતે સમજે છે. સારા રાષ્ટ્રનિર્માણમાં આ
વાલીઓ પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે.
આ બે દૃશ્ય
જોયા પછી મને એવું લાગ્યું કે હું ક્યારેક કેટલીક પરિસ્થિતિમાં મન હારી જતું. આગળ
વધવાનો વિચાર અટકી જતો. પણ કર્મને ક્યારેય છોડ્યું નથી. મારા કામમાં ભૂલો થઈ છે અને
તેમાંથી શીખ્યો છું, બીજીવાર એ ભૂલ ન થાય તેનું સ્વભાન રાખીશ. હંમેશાં નવું-નવું
શીખતો રહીશ. જ્યારે પણ મારામાં આળસ આવશે ત્યારે આ પ્રથમ દૃશ્ય યાદ કરીશ અને સતત
કર્મશીલ બનીને રહીશ. બીજું દૃશ્યમાં જ્યાં જ્યાં મને રાષ્ટ્રભક્તિ દેખાશે ત્યાં
ત્યાં હું એમ વ્યક્તિનું સન્માન કરીશ. રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીઓથી અવગત
કરાવીશ.
જય હિન્દ....